તાજેતરમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા એક ભારતીય ઇમિગ્રન્ટે ખુલાસો કર્યો છે કે શીખ ધર્મ સાથે સંકળાયેલી તેની પવિત્ર પાઘડીનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેને ડિટેન્શન સેન્ટરમાં કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી. દવિંદર સિંહની 27 જાન્યુઆરીએ યુએસ સરહદ પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 15 ફેબ્રુઆરીના રોજ તેમને યુએસ લશ્કરી વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા.
દવિંદર સિંહે પોતાના 18 દિવસના અનુભવને અત્યંત પીડાદાયક અને માનસિક રીતે આઘાતજનક ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમણે અટકાયત કેન્દ્રમાં અધિકારીઓ દ્વારા શીખ ઇમિગ્રન્ટ્સની પાઘડીઓ કચરાપેટીમાં ફેંકતા જોયા. “તે જોવું ખૂબ જ પીડાદાયક હતું,” તેમણે કહ્યું.
દવિંદર સિંહના જણાવ્યા મુજબ, ડિટેન્શન સેન્ટરના એક હોલમાં વિવિધ દેશોના લગભગ 60-70 ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવ્યા હતા. યુએસ અધિકારીઓ દ્વારા તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમણે અને કેટલાક અન્ય શીખ ઇમિગ્રન્ટ્સે માનસિક શાંતિ જાળવવા માટે તેમના ધાર્મિક ગ્રંથો ‘ચૌપાઈ સાહિબ’ અને ‘જપજી સાહિબ’નો પાઠ કર્યો.
તેમનો આરોપ છે કે તેમને યોગ્ય ખોરાક આપવામાં આવતો ન હતો અને ફક્ત પાતળા ધાબળા આપવામાં આવતા હતા. કેન્દ્રમાં ઓછા તાપમાને એસી ચલાવવામાં આવી રહ્યા હતા. જ્યારે તેમણે અધિકારીઓને ઠંડી વિશે કહ્યું, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. દવિન્દરે કહ્યું કે તેને દિવસમાં પાંચ વખત ફક્ત ચિપ્સ અને જ્યુસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત કાચી રોટલી, ભાત, સ્વીટ કોર્ન અને કાકડી આપવામાં આવી. શાકાહારી હોવાને કારણે, તેમને બીફ જેવો માંસાહારી ખોરાક આપવામાં આવતો ન હતો. તેણે કહ્યું કે ૧૮ દિવસમાં તે ફક્ત બે વાર જ સ્નાન કરી શક્યો અને આખો સમય તેણે એ જ ગંદા કપડાં પહેર્યા જે મુસાફરી દરમિયાન ગંદા થઈ ગયા હતા.
પંજાબના હોશિયારપુર જિલ્લાના નાગલ જલાલપુર ગામના રહેવાસી દવિંદર સિંહે કહ્યું કે તેમણે વધુ સારા જીવનની શોધમાં અમેરિકા જવાનું નક્કી કર્યું છે. તેમણે 28 જૂનના રોજ તેમની લાંબી યાત્રા શરૂ કરી, જેમાં તેમણે અનેક દેશોમાં થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો. પરત ફર્યા પછી, દવિંદર સિંહે કહ્યું કે તે હવે તેના પિતાની ઇલેક્ટ્રોનિક રિપેર શોપમાં કામ કરશે. આ પ્રયાસમાં લગભગ ૪૦ લાખ રૂપિયા ખર્ચ્યા પછી તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો.