



દેશમાં પરિવહન સેવાને વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્વ છે ત્યારે હવે દેશમાં વાહનોને ક્રેશ ટેસ્ટના આધારે રેટિંગ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારના મૂલ્યાંકનનો નવો કાર્યક્રમ ભારત એનસીપી એક એવી વ્યવસ્થા પૂરી પાડે છે જેને અંતર્ગત ભારતમાં વાહનોને દુર્ઘટના પરીક્ષણમાં તેમના પ્રદર્શનના આધાર પર સ્ટાર રેટિંગ આપવામાં આવશે. ગડકરીએ તેને લઇને અનેક ટ્વિટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત નવો કાર મૂલ્યાંકન કાર્યક્રમ (ભારત એનસીપી) દેશમાં સુરક્ષિત વાહનોના ઉત્પાદન માટે મૂળ ઉપકરણ નિર્માતાઓની વચ્ચે એક સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ ગ્રાહકોને સ્ટાર રેટિંગના આધાર પર સુરક્ષિત કારની પસંદગી કરવાનો વિકલ્પ પૂરો પાડશે અને ગ્રાહક કેન્દ્રિત મંચ તરીકે તે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, મે ભારત એનસીએપી (નવો કાર આકલન કાર્યક્રમ) શરૂ કરવા માટે જીએસઆર નોટિફિકેશનના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે, જેને અંતર્ગત ભારતમાં વાહનોનું દુર્ઘટના પરીક્ષણમાં તેના પરફોર્મન્સને આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, ક્રેશ પરીક્ષણના આધાર પર ભારતીય કારોને સ્ટાર રેટિંગ કારમાં માળખાકીય અને યાત્રી સુરક્ષા સુનિશ્વિત કરવા ઉપરાંત ભારતીય વાહનોની નિકાસ-યોગ્યતા વધારવાની દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત વધુને વધુ વાહનના નિકાસ માટે પ્રતિબદ્વ છે. તે ઉપરાંત હવે મોટા ભાગની કારમાં 4 એરબેગ્સ ફરજીયાત કરવા માટેના નિયમ પર પણ વિચારણા ચાલી રહી છે.