



વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડમાં તેઓની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે છેલ્લા ૧૮ દિવસથી વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ ના માર્ગની કાયાપલટ કરી દેવામાં આવી હતી ઠેર ઠેર સુશોભન અને વૃક્ષારોપણ કરી વિસ્તારને અલકાપુરી જેવો પોશ વિસ્તાર બનાવી દેવાયો હતો. વર્ષોથી રખડતી ગાયો માટે પ્રચલિત આજવા રોડ ૧૮ દિવસથી ઢોર મુક્ત બની ગયો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પૂરી થઇ અને તેઓ દિલ્હી પહોંચે તે પહેલા ફરીવાર ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર રખડતા ઢોરોની એન્ટ્રી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરા શહેરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડના શણગાર જોઈને સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થતા હતા કે આજવા રોડ પર અલકાપુરી જેવું ફીલ મળી રહ્યું છે. જોકે આ ક્ષણિક ફીલિંગ મોદી સાહેબના દિલ્હી પહોંચ્યા પહેલાં જ ચકનાચૂર થઈ છે