



જળચર અસુરક્ષિત: નારીના તળાવમાં હજારો માછલીઓના મોત કરોડો રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરાયેલા તળાવમાં જળચર અસુરક્ષિત અગાઉ ફેક્ટરીના દૂષિત પાણી ભળતાં GPCB દ્વારા નમૂના લેવાયા હતા ભાવનગર કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ નારી ગામના ડેવલોપમેન્ટ સાથે બ્યુટીફીકેશન માટે બે સવા બે કરોડથી વધુના ખર્ચે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ તળાવમાં આજે સવારથી અચાનક હજારો માછલીઓના તરફડિયા મારી મોત નિપજ્યા હતા. એક સાથે હજારો માછલીઓના મોત નિપજતા તંત્ર પણ દોડતું થયું છે. તળાવના ડેવલોપમેન્ટ પહેલા જીઆઇડીસીની ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત પાણી તળાવમાં આવવાની ફરિયાદના આધારે જીપીસીબીએ પણ તપાસ કરી હતી. નારી ગામના તળાવનો અગાઉ પણ કલર લાલચટ્ટાક થઈ ગયો હતો તેવું કેમિકલયુક્ત પાણી તળાવમાં પડતું હતું. જેની ફરિયાદના આધારે જીપીસીબી દ્વારા પાણીના નમુના લઇ લેબોરેટરીમાં તપાસાર્થે પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તપાસનો પણ ફિંડલું વળી ગયુ હતુ. આજે સવારે અચાનક નારી ગામના તળાવમાં હજારો માછલીઓ તરફડિયા મારતી મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી. વાતાવરણમાં ફેરફાર નહીં છતાં માછલીઓના મોત આશ્ચર્ય જગાડે છે. લાઇન રાત્રે રીપેરીંગ કરાતી હતી આજે સવારે તળાવમાં હજારો માછલીઓના મોત નીપજ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે તળાવ નજીકથી પસાર થતી ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીની લાઈનમાં ભંગાણ થયું હોય અને તેને રીપેરીંગ કરાતું હોવાનું નારી ગામના લોકોએ જણાવ્યું હતું.