



બારડોલીમાં 12મી જૂનના રોજ બારડોલી દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બારડોલી શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ના કરની લડત સામેના 1928ના બારડોલી સત્યાગ્રહ વખતે સમગ્ર દેશમાં 12મી જૂનના રોજ બારડોલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની યાદમાં વર્ષ 2017થી બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે બારડોલી દિવસ ઉજવણીની શરૂઆત કરી હતી. બારડોલી દિવસને 94 વર્ષ થતાં 12મી જૂનના રોજ 94મો બારડોલી દિવસ ઉજવવામાં આવનાર છે. આ માટે રાજ્યના રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા રવિવારના રોજ સાંજે 8.00 કલાકે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે સાઇરામ દવેની સરદાર ગાથાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવનને પ્રેરણાદાયક તેમજ સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે . રાજ્યના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વરાજ આશ્રમના પ્રમુખ ભિખાભાઈ પટેલ, મંત્રી નિરંજનાબેન કલાર્થી, ઈશ્વરભાઈ પરમાર, ભાવેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે.